Blog
Home / Media / Blog / શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની A TO Z માહિતી
શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની A TO Z માહિતી
January 22, 2022
2 Comments
  • શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે શ્રી નરેશભાઈ પટેલની મહત્વની જાહેરાતઃ શ્રી ખોડલધામ પરિસરમાં દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરુષોની પ્રતિમા મૂકવામાં આવશે

  • ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણીઃ દેશ-વિદેશના ખુણે ખુણે ઉજવાયો શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ

  • દેશ-વિદેશમાં 10,008થી વધુ જગ્યાએ શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવને નિહાળી મા ખોડલની આરતી કરવામાં આવી

  • બહોળી સંખ્યામાં લોકોએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી પંચવર્ષીય પાટોત્સવ નિહાળ્યો

21 જાન્યુઆરી, 2022ને શુક્રવારના દિવસે શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. પંચવર્ષીય પાટોત્સવ નિમિત્તે શ્રી ખોડલધામ મંદિરે સવારે મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી, ધ્વજારોહણ, મહાઆરતી, શ્રી નરેશભાઈ પટેલનો સમાજજોગ સંદેશ અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દેશ-વિદેશના ખુણે ખુણેથી બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો અને મા ખોડલની આરતી કરી હતી.

patotsav-1

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વમાં વસતાં દરેક સમાજે ખોડલધામને પ્રથમ દિવસથી સાથ સહકાર આપ્યો છે. જેમ કે 2017માં અંદાજે 150 જેટલા સમાજ અને સંસ્થાઓએ મળીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને મારું સન્માન કર્યું હતું. આ ઉપરાંત મા ખોડલના રથના ઠેર ઠેર દરેક સમાજ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. અને આજની તારીખે પણ શ્રી ખોડલધામ મંદિરે દરેક સમાજના ભાઈઓ-બહેનો માતાજીના દર્શને કરતાં હોય તેવા દ્રશ્યો દરેક ક્ષણે જોવા મળે છે. ત્યારે હું સમજું છું કે આ દરેક સમાજનું આપણા પર ઋણ છે. આ ઋણ ચુકવવા દરેક સમાજ અને જ્ઞાતિના મહાપુરુષોની પ્રતિમા આ ખોડલધામ સંકુલની અંદર સ્થાપિત કરવાનો શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સંકલ્પ કર્યો છે.

પોતાના સમાજ જોગ સંદેશમાં શ્રી નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડે સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે 2017 બાદ અનેક પ્રકલ્પો પૂર્ણ કર્યા છે. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દીકરા-દીકરીઓ જોડાય, શ્રી ખોડલધામ સમાધાન પંચ અને શ્રી ખોડલધામ મેરેજ બ્યૂરો, શિક્ષણ, ખેતીવાડી. ત્યારે હવે 2022 પછી પણ સમાજ શિક્ષણની સાથે સંસ્કાર અને આરોગ્ય ક્ષેત્રે આગળ વધે. સમાજના દીકરા-દીકરીઓ સાહિત્ય-સંગીતકાર, રમત-ગમત, મીડિયા સહિતના તમામ ક્ષેત્રે સરકારી નોકરીઓમાં આગળ આવે. વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરીને આગળ વધીએ. આપણું સંગઠન ખૂબ લાગણી અને મજબૂતાઈથી ઉભું છે ત્યારે આજના આ યુવા દીકરા-દીકરીઓને કહેવાનું કે, આ સંગઠનને ક્યારેય આંચ ના આવે તેની જવાબદારી આપ સૌની છે.

patotsav-2

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી ખોડલધામ પરિવાર માટે 21 જાન્યુઆરીનો દિવસ અતિ મહત્વનો અને ઐતિહાસિક છે. ત્યારે આ ઐતિહાસિક દિવસની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરે 21 જાન્યુઆરીના રોજ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે સવારે 6 થી 9 મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં  યજ્ઞશાળામાં યજમાન દ્વારા આહૂતિ આપવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા એક અનોખી પહેલના ભાગરૂપે એક સામાન્ય ખેડૂત પરિવારને યજમાન બનાવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લના પડધરી તાલુકાના નાગબાઈના ગઢડા ગામના વતની અને સામાન્ય ખેડૂત પરિવાર એવા હરિભાઈ ટીંબડીયાનો પરિવાર આ મહાયજ્ઞમાં યજમાન બન્યો હતો. વિશેષ વાત એ છે કે, મહાયજ્ઞના યજમાન એવા હરિભાઈ ટીંબડીયાની મા ખોડલ પ્રત્યેની શ્રદ્ધા એવી છે કે 2011માં ખોડલધામ શિલાન્યાસ પ્રસંગે પ્રસાદીમાં આપવામાં આવેલો લાડુ તેઓએ ઘરે સાચવીને રાખ્યો હતો અને આ પ્રસાદીનો લાડુ આજે પણ એવો ને એવો જ છે. આ પ્રસાદીનો લાડુ હરિભાઈ ટીંબડીયા પંચવર્ષીય પાટોત્સવના દિવસે મંદિરે દર્શન માટે લઈને આવ્યા હતા.

મહાયજ્ઞ પૂર્ણ થયા બાદ સવારે 9 કલાકેથી પંચવર્ષીય પાટોત્સવનું લાઈવ પ્રસારણ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. ત્યારબાદ શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરના શિખર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. ધ્વજારોહણ બાદ મા ખોડલની સાથે મંદિરમાં બિરાજમાન 21 દેવી-દેવતાઓની મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે સમાજ જોગ સંદેશ આપ્યો હતો. અને કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન કર્યું હતું. આ ઓનલાઈન કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી સર્વ સમાજના બહોળી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા અને ટીવી ચેનલના માધ્યમથી જોડાયા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સહિત દેશ-વિદેશના વિવિધ 10008થી વધુ સ્થળે એલઈડી સ્ક્રીન અને ટીવી સ્ક્રીન મૂકીને લોકોએ મા ખોડલની આરતી કરીને કાર્યક્રમ નિહાળ્યો હતો.

પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી વિશાળ યજ્ઞશાળામાં સવારે અગ્નિ પ્રગટાવાઈ હતી. આ ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાં અનેક ઘરોના આંગણે અને સોસાયટી, સમાજ ભવનોમાં રંગોળી સહિતના સુશોભન કરવામાં આવ્યા હતા.

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવ કાર્યક્રમ નિહાળવા માટે લિંક પર ક્લિક કરો- https://www.youtube.com/watch?v=Vy4Hi5gu94A

શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની તસવીરો જોવા માટે લિંક પર ક્લિક કરો- https://www.khodaldhamtrust.org/media/photo-gallery/khodaldham-patotsav-2022/

2 thoughts on “શ્રી ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની A TO Z માહિતી

  1. PATOTSAV IS BRILLIANT.

    WE HAVE WATCHING A LIVE AARTI AND PATOTSAV.

    SPECIAL THANKS FOR NARESH PATEL

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

happy community
Together we build happy community
Join us in the journey of happy community, growing together for healthy and calm minded society.